|
|
न. ब. व. |
કૌચનાં બી; કૌચા; કપિકચ્છ્ર; આત્મગુપ્તા; વૃષ્યા; મર્કટી; અજરા; કુંડરા; વ્યંગ્યા; દુ:સ્પર્શા; પ્રાવૃષાયણી; લાંગલી; શુકશિંબી. કૌચની વેલ વાડોમાં એની મેળે જ ઊગી નીકળે છે. એને આંબલીના જેવા કાતરા થાય છે, અને તેની ઉપર મખમલના જેવી રુવાંટી હોય છે. આ કાતરાની રુવાંટી શરીરને લાગી હોય તો ખણજ આવે. કાતરા સુકાઇ જતાં એની મેળે જ ફાટે છે અને તેમાંથી એરંડીને મળતાં બિયાં નીકળે છે. તે કવચું, કવચાં કે કૌચાં કહેવાય છે. દેશી દવામાં તે પૌષ્ટિક અને વાજીકરણ ગણાય છે. કવચાનું ઝાડ લીંબુના ઝાડ કરતાં જરા મોટું થાય છે. તેના ઝાડને ભૈરવશીંગનું ઝાડ કહે છે. કવચાંની શીંગ વાંકી થાય છે. તે આશરે ત્રણ ચાર ઇંચ લાંબી હોય છે. તેમાં પાંચ કે છ બી હોય છે. તેની શીંગના કાંટા ૧/૧૦ થી ૧/૮ ઇંચ લાંબા હોય છે. ઔષધની અંદર તેના કાંટા, મૂળ, બી વગેરે વપરાય છે. ભૈરવશીંગના કાંટા છરીથી ખેરી દહીં, દૂધ, મધ અગર ગોળમાં નાખી અપાય છે. આ બે ત્રણ દિવસ સુધી દરરોજ સવારે આપવાથી કૃમિ જખમી થઇ બહાર નીકળે છે. કવચાંનાં બી ધાતુપૌષ્ટિક ચૂર્ણમાં આવે છે. તેનાં મૂળનો કવાથ પીવાથી વાતવ્યાધિ મટવાનું મનાય છે. પક્ષઘાત તેમ જ શરીરનો બીજો કોઇ પણ ભાગ વાયુથી શક્તિહીન થઇ ગયો હોય ત્યારે કવચાંવાળો કવાથ અપાય છે.
|
|