૧
|
[ સં. ] |
पुं. |
( પુરાણ ) એક અસુર રાજા; એ નામનો મગધ દેશનો રાજા; કંસનો સસરો. તે બે ફાડિયામાં જનમ્યો હતો. મગધ દેશના બૃહદ્રથ રાજાને કંઈ સંતાન ન હતું. તે રાજપાટ છોડી વનમાં ગયો. ત્યાં તેણે એક મુનિને અનેક રત્નો ભેટ ધર્યાં. મુનિએ પ્રસન્ન થઈ રાજાને અભિમંત્રિત આમ્રફળ આપ્યું. એ રાજાને બે રાણી હતી. તે બે બહેનોએ અરધું અરધું ફળ વહેંચી લીધું. તેને લીધે તેમને ગર્ભનું અકેકું અરધિયું સાંપડ્યું. એ અરધિયાં ધાવે બહાર ફેંકી દીધાં. તે લઈ જવાં સહેલ પડે એટલા માટે જરા નામની રાક્ષસીએ સરખાઈમાં ગોઠવ્યાં. તે જ ક્ષણે જોડાઈ તેનું એક શરીર બની ગયું. જરાએ સાંધ્યાથી તે જરાસંઘ કહેવાયો. તે મહા પરાક્રમી રાજા હતો. ઘણા રાજાઓને પકડી તેણે કેદ કર્યા હતા. તેના જમાઈ કંસને કૃષ્ણે માર્યા સબબ તેણે અઢાર વાર મથુરા ઉપર હુમલા કર્યા હતા. દરેક વખતે કૃષ્ણે તેને પાછો હાંકી કાઢ્યો હતો. ઘણો બળવાન હોવાથી તેણે સેંકડો રાજાઓને પકડીને રુદ્રયાગમાં બલિદાન દેવા માટે પોતાના કેદખાનામાં પૂર્યા હતા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણ, અર્જુન અને ભીમે બ્રાહ્મણને વેષે તેના દરબારમાં જઇ દ્વંદ્વયુદ્ધની ભિક્ષા માગતાં તે ભીમ સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતર્યો હતો. ભીમ અને જરાસંઘનું યુદ્ધ અહોરાત્ર તેર દિવસ સુધી ચાલ્યું હતું. પછી ચૌદમે દિવસે ભીમે જરાસંઘને પકડીને ચીરી નાખ્યો. પણ એ પાછો સંધાઈ ગયો અને લડવા તૈયાર થયો. એટલામાં કૃષ્ણે એક સળેકડું હાથમાં લીધું અને તેને ચીરી નાખી જમણા હાથનું ડાબી તરફ ફેંકી અને ડાબા હાથનું જમણી તરફ ફેંકી ભીમસેનને સૂચના કરી. ભીમસેન સમજી ગયો અને સૂચના પ્રમાણે જરાસંધને ચીરી એનું જમણું અંગ ડાબી તરફ અને ડાબું અંગ જમણી તરફ ફેંકી દીધું તેથી એ ફરી સંધાયો નહિ. જરાસંધ પછી કૃષ્ણે એના પુત્ર સહદેવને ગાદીએ બેસાડ્યો અને બધા રાજાને બંદીખાનામાંથી છોડાવ્યા.
|
૨
|
|
पुं. |
( પુરાણ ) ધૃતરાષ્ટ્રના સો માંહેનો એ નામનો એક પુત્ર.
|
૩
|
|
पुं. |
( પુરાણ ) ભારતના યુદ્ધમાં સાત્યકિએ મારેલો દુર્યોધન પક્ષનો એક રાજા.
|
|