ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુધર્મ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. હિંદુ લોકોનો ધર્મ. આ સંબંધે મહાત્મા ગાંધીજી કહે છે કે, બધા ધર્મોમાં હિંદુધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ જ ગમે છે, કારણ તેથી હિંદુધર્મોને આત્મોન્નતિનો વિશાળ.માં વિશાળ આવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી. તેને લીધે હિંદુઓ બીજા ધર્મોને માન આપી શકે છે, એટલું ન નહિ પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. મહિમા ધર્મ માત્રને સામાન્ય છે પણ હિંદુધર્મમાં એ સિધ્ધાંતની ખિલવણી તથા પ્રયોગ બધાથી વિશેષ છે. જૈન ધર્મ તથા બૌધ્ધ ધર્મને હું હિંદુધર્મથી નોખા નથી ગણાતો. કેવળ મનુષ્ય માત્ર જ નહિ પણ જીવમાત્ર એક છે એમ હિંદુધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુધર્મમાં ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. એકવાર એક મોટાં વકીલ સજ્જને મને પૂછયું હતું કે, હિંદુધર્મની વ્યાખ્યા શી ? મેં તેમને જવાબમાં કહેલું કે, હિંદુધર્મની વ્યાખ્યા હું નથી જાણતો. હું ક્યાં તમારા જેવો વકીલ છું ? મારા પોતાના હિંદુધર્મની વ્યાખ્યા જો કે કરી શકું. એ વ્યાખ્યા એવી છે કે, સર્વ ધર્મીને સરખા ગણો તે ધર્મ હિંદુ. મારા બચપણથી હું હિંદુધર્મ વિષે વાંચતો આવ્યો છું ને શીખતો આવ્યો છું. હું બહુ નાનો હતો તે અંધારામાં જતાં બીતો ત્યારે મારી દાઈ મને કહેતી તે ડરે છે શા સારુ ? રામનું નામ લે. ત્યારબાદ ખ્રિસ્તી, મુસલમાન, પારસી વગેરે બધા ધર્મના લોકોના સંસર્ગમાં હું આવ્યો. પરંતુ બચપણમાં જેવો હતો તેવો જ આજે પણ હું રહ્યો છું. મારે હાથે હિંદુધર્મનું રક્ષણ થવાનું હશે તો ઈશ્વર તેનું નિમિત્ત મને બનાવશે. હિંદુધર્મ વિષેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે, હિંદુ શબ્દ વેદમાં મળતો નથી. પણ મહાન સિકંદરે હિંદ પર ચડાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખાવામાં આવ્યા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુને ઈન્ડસ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના સનો એચ, એટલે હ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મહિંદુ નામથી ઓળખાયો. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. ઈઝરાઈલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણ જ સંઘર્યા હતાં. આવો જે ધર્મ સહિષ્ણુતાની હમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખે છે, તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ આર્યવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરા યે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ હિંદુધર્મોમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે; પરંતુ મારી મતિ પ્રમાણે તેમાં એથી એ ઘણું વધારે સમાયેલું છે. હિંદુધર્મના મોભા અથવા દરજ્જાને જરા સરખો ઉતારી પાડયા વિના હું ઇસ્લામના મજહબમાં, પારસી ધર્મમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમભાવે આદર રાખું છું. એમ જાહેર કરું છું ત્યારે કશી વિસંગ વાતો કરતો નથી. સૂર્ય તપે છે ત્યં સુધી આવો હિંદુધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે એ ધર્મનો નિચોડ આપી દીધો છે: " દયા ધર્મકા મૂલ હે, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબલગ ઘટમેં પ્રાણ. " મારા હિંદુધર્મમાં સર્વધર્મી સમાઈ જાય છે. સર્વ ધર્મનો નિચોડ અથવા સાર હિંદુધર્મમાં મળે છે અને હિંદુધર્મમાં બીજાં સર્વ ધર્મ તત્ત્વો પચાવી લેવાની શક્તિ ન હોય અને તે કામ તેણે ન કર્યું હોય તો તે આટલો ઊંચો યે ન ચડત. ધર્મ માત્રને ચડતી પડતીના વારાફેરા જોવા પડે છે. હિંદુધર્મના વેદના પેટમાં સર્વ ધર્મોનો સાર ભરેલો છે. છતાં એટલું કબૂલ કરવું જોઈએ કે, હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ એ માટે ધર્મી અલબત્ત જુદા છે. નામથી બધા ધર્મો એકબીજાથી જુદા છે, પણ બીજી રીતે જુઓ તો બધાનું બીજ એક જ છે. હિંદુધર્મ તો એક મહાસાગર છે. જેમ સાગરમાં બધી નદીઓ ભળી જાય છે તેવી જ રીતે સર્વ ધર્મોનો હિંદુધર્મમાં સમાવેશ થઈ જાય છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુધર્મનું એક અંગ છે. એ વિચારે હું તો શરમથી મરી જ રહું અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનનાં ઘણાભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યો અધર્મ માનું છું અને એ હિંદુધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુધર્મ એ તો અનેક યુગનો વિકાસ છે. હિંદુધર્મ એ નામ પણ હિંદુસ્તાનના લોકોમાં ધર્મને સારુ પરદેશીઓએ શોધી કાઢેલો શબ્દ છે. એક કાર્ય અહીં ધર્મને નામે પશુઓનું બલિદાન અપાતું પણ એ વસ્તુ ધર્મ ન હોય ત્યાં હિંદુધર્મ તો ક્યાંથી હોય જ ?